બુધવાર, 27 ફેબ્રુઆરી, 2013

ઉજાલા

દેખિયે ઉસ તરફ ઉજાલા હૈ
જીસ તરફ રોશની નહીં જાતી
દુષ્યંતકુમાર

ગહન અર્થ ધરાવતો શેર. જ્યાં પ્રકાશ રેલાતો ન હોય ત્યાં અજવાળું થાય? કદી ના થાય. અજવાળા માટે પ્રકાશ તો જોઈએ જ. ભલે ટમટમિયાનો હોય. છતાં કવિ આવું કહે છે.કેમ?

મારી રીતે અર્થઘટન કરું તો મને કંઈ આવો અર્થ ઉપજતો જણાય છે.

જે માણસે જીવનમાં કદી કોઈ મહાપુરુષ,યોગી,સ્વામી,મૌલાના કે અન્ય ધર્મગુરુ અથવા સમાજ સુધારકના વચનો સાંભળ્યા ન હોય.સુખ શાંતિ અને સંતોષપુર્વક કેવી રીતે જીવી શકાય; વિશે વાંચ્યુ ન હોય જાણ્યું ન હોય. છતાં એવું જીવન જીવી જાણે. એના વિશે આ શેર કહી કે લખી શકાય.

અન્ય અર્થ કરીયે તો,
જ્યાં પૈસાનો પ્રકાશ પહોંચ્યો ન હોય.છતાં જીવનમાં સુખ,શાંતિ અને સંતોષરૂપી અજવાળું હોય. એવી પરિસ્થિતિ વિશે આ શેર કહી શકાય.

તા.૧૦।૦૨।૨૦૧૩ ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

સચરાચર ધામ

મનની મર્યાદા તજી એનું જ આ પરિણામ છે
એમ લાગે છે કે સચરાચર હવે મુજ ધામ છે
શૂન્ય પાલનપુરી

      મન માનવીના જીવનનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જે છે પણ દેખાતું નથી. તે છતાં માણસ પર સૌથી વધારે પ્રભાવ ધરાવે છે. શૂન્ય સાહેબે કમાલ કરી છે.કહેવાય છે કે મનને કોઈ સરહદ નથી હોતી. સીમાડા નથી હોતા.મનનાં ઘોડાની ગતિ અમર્યાદિત હોય છે.એને કોઈ સરહદ નડતી નથી.શૂન્ય સાહેબે મન દ્વારા મર્યાદા ત્યજવાની વાત કરી છે.મન મર્યાદા ત્યજે ત્યારે શું થાય? શાયરે પ્રશ્નનો જવાબ આપ્યો છે.મન સરહદો ત્યજે ત્યારે સકળ દૂધગંગાઓ મનનું ધામ બની જાય છે.

તા.૧૭।૦૨।૨૦૧૩ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

શુક્રવાર, 11 જાન્યુઆરી, 2013

ઘુંઘરું


એ થનગનતા હૈયાને દિવાલ કેવી?
પગે શૃંખલા જેને મન ઘુંઘરું છે
શૂન્ય પાલનપુરી

જે વ્યકિતએ ઈતિહાસ લખવો હોય. એને કોઈ દિવાલ કોઈ વિઘ્ન રોકી શકતા નથી. ઈતિહાસમાં નવા પાના ઉમેરવાની તમન્ના રાખનાર વ્યક્તિ અવરોધોને પણ સહાયક તત્વ ગણે છે. આ વિચારને શૂન્ય સાહેબે પગે શ્રૃંખલા જેને મન ઘુંઘરુ છે એ તર્ક દ્વારા રજુ કર્યો છે. જે વ્યકિતને પગમાં પડેલી બેડીઓ પણ ઘુંઘરુ લાગે. એના જોશને, થનગનાટને રોકવાનું ગજુ કોઈ દિવાલમાં હોતુ નથી.

અહીં ઘુંઘરુ અને શ્રૃંખલા શબ્દ ખૂબ સૂચક છે. બંને શબ્દ બે અલગ અલગ સત્યને રજુ કરે છે. બંને પગમાં બંધાય છે. પણ શ્રૃંખલા બંધન, ગુલામીની પ્રતિક છે જ્યારે ઘુંઘરુ કલાના પ્રતિક છે.

તા.૦૮।૦૮।૨૦૧૦ના દિવસે દૈનિક જયહિન્દમાં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

કર્તવ્ય કેડી

સુંવાળી નથી દોસ્ત! કર્તવ્ય કેડી
ગુલાબોથી ઝાઝા અહીં ગોખરુ છે
શૂન્ય પાલનપુરી

કર્તવ્ય પથ પર ચાલવું સરળ નથી. તે પથ પર ગુલાબ (પ્રશંસા) ઓછા અને ગોખરૂ (ટીકા, બદનામી) વધારે મળે છે. મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર વાંચવાથી આ વાત બહુ સરળતાથી સમજાઈ જાય છે.

મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સોક્રેટીસ, ચંદ્રગુપ્ત મૌર્ય, સિકંદર, સુભાષચંદ્ર બોઝ જેવા મહામાનવોના જીવન ચરિત્રો વાંચીએ ત્યારે ખબર પડે છે. તેઓ કેવા કાંટાળા પથ પર ચાલ્યા હતા. કેવા કેવા પડકારોનો સામનો કર્યો હતો. બાદશાહ અકબરને જીવનના બારમા વર્ષે ફૂંકી મારવા માટે તોપના મોઢે બાંધવામાં આવ્યો હતો. સોક્રેટીસે ઝેરનો પ્યાલો પીવો પડ્યો હતો. હાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માથે ઓછા માછલા ધોવાય છે?

તા.૦૮।૦૮।૨૦૧૦ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી  

ભારત કે લોગ