શનિવાર, 17 માર્ચ, 2012

સુખ અને દુખ

સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે
સુખ એ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે
જલન માતરી સાહેબની ગઝલ એટલે બસરાનાં સાચા મોતી, ૨૪ કેરેટ સોનું. મિત્રો મારી કોઈ વિસાત નથી કે હું એમની ગઝલનું વિવેચન કરું કે ભાવાર્થ લખું.આ લેખ જલનસાહેબની કળાકૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ છે.
સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુઓ છે.આમ તો જગતમાં સુખ કે દુઃખ જેવું કંઈ નથી જે છે એ માનવીની પરિસ્થિતિઓ છે.સુખ અને દુઃખ ક્ષણભંગુર છે.બંનેમાંથી એકેય કાયમી નથી. હા, શાયરે અહી કલાત્મક અંદાજમાં સુખને દુઃખનો ગુલાબી મિજાજ કહ્યો છે.આધ્યાત્મિકતા કહે છે સુખ અને દુઃખ આવે છે ને જાય છે.લાગણીઓ નાં વિવિધ સ્વરૂપોનું નામ સુખ અને દુઃખ છે.
એક જ સિક્કાની બે બાજુની વાત નીકળી છે એટલે અહીં એક આડવાત કરી દઉં, એક જ ગુણ માટે સફળતા અને નિષ્ફળતાની પરિસ્થિતિઓમાં જુદા જુદા શબ્દ વપરાય છે.સફળ માનવીની અડગતાને દ્રઢનિશ્ચય જયારે નિષ્ફળ માનવીની અડગતાને જીદ્દીપણું કહેવાય છે.. હકીકતે બંનેમાં ગુણ એક જ છે અડગતાનો.
હું જો અનુસરણ ન કરું તો કરું યે શું?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.
વા...........હ જલનસાહેબ વા....હ. મૃત્યુ સનાતન સત્ય છે આ વાત એકદમ સરળ શબ્દોમાં કહેવાઈ છે.સામાન્ય રીતે આ જગતમાં સારા કાર્યો કે સફળતાઓનું અનુસરણ થાય છે.આ વાતની આધાર લઈને ઉપરોક્ત સત્ય રજુ કર્યું છે.જે જીવ અવતરે છે એનું મૃત્યુ નિશ્ચિત છે પણ આ વાતને અનુસરણ સાથે સરખાવી શેરને ઉત્તમ શ્રેણીનો બનાવ્યો છે. જગતનો દરેક માનવી અન્ય કોઈ કાર્યનું અનુસરણ કરે કે ન કરે પણ 'મરવાનું' અનુસરણ જરૂર કરે છે.
અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા
એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઈલાજ છે?
કહેવત છે ને "વહેમનો કોઈ ઈલાજ નથી" આ કહેવતને સથવારે ખુદાના, પ્રભુના, પરમપિતા પરમેશ્વરનાં અસ્તિત્વ વિષે વાત થઇ છે." ઉપરવાળા"નું અસ્તિત્વ વિશ્વાસ પર આધારિત છે. જેને વિશ્વાસ છે એના માટે પ્રભુ છે જેને નથી એના માટે પ્રભુ નથી. બંને મત પોતાના સ્થાને અડગ છે. જો કે ઘણી એવી ઘટનાઓ બની છે જેણે ઘોર નાસ્તિકને આસ્તિક અને ઘોર આસ્તિકને નાસ્તિક બનાવ્યા હોય.
ઉપરોક્ત ત્રણ સિવાય આ ગઝલમાં બીજા બે શેર છે જે આ પ્રમાણે છે.
દુનિયાના લોક હાથ પણ મૂકવા નાં દિયે
ને તું કહે સમસ્ત જગ મારે કાજ છે

ઊઠ બેસ વિણ અજાણ વિણ પળમાં પતી જશે
મસ્જીદમાં આખરી આ 'જલન'ની નમાજ છે
અર્જ કરતે હૈ
અભણ અમદાવાદી

વિરહ ની રાત

આ વિરહની રાત છે તારીખનું પાનું નથી
અહીં દિવસ બદલાય છે તો આખો યુગ બદલાય છે
સૈફ પાલનપુરી

તારીખનું પાનુ બદલાવું એટલે ચોવીસ કલાક થવા. જેણે પ્રીત કરી છે, વિરહની પાનખર ભોગવી છે એને ખબર હોય છે કે તારીખના એક પાનામાં કેટલા યુગ સમાયેલા હોય છે. બલ્કે એક એક ક્ષણમાં હજાર હજાર યુગ હોય છે. એક એક યુગ કેવી રીતે અને કેટલો આકરો વીતે છે એ હકીકત વિરહની વેદના ભોગવનાર જ જાણે છે. કવિ સૈફ પાલનપુરીએ વિરહકાળને રાત સાથે સરખાવ્યો છે. રાત કાળી અંધારી હોય છે. દુખી માનવી માટે રાત પસાર કરવી ખૂબ જ મુશ્કેલ કાર્ય છે કારણ કે માનવી રાત્રે દિવસની જેમ વ્યસ્ત નથી હોતો. દિલ પર પડેલા ઘા એને ઊંઘવા નથી દેતા અને અંધારી રાત જાગવા નથી દેતી.

એક પ્રણાલિકા નભાવું છું લખું છું 'સૈફ' હું
બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જીવાય છે

આ શેરમાં કવિએ વાસ્તવિક જીવન અને કાવ્યમાં દર્શાવાતા જીવન વચ્ચે ભેદ હોય છે એની વાત કરી છે. કાવ્યમાં જે આદર્શ સમાજ, રાષ્ટ્ર, વિશ્વ અને વ્યવસ્થાનું ચિત્રણ હોય છે તે વાસ્તવમાં ક્યાંય દેખાતું નથી.

દૈનિક જયહિન્દમાં મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં તા.૧૧।૧૨।૨૦૧૧ ના રોજ છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

પાંપણો અને નવદંપતિ

પાસ પાસે છે છતાંયે દૂર છે
પાંપણો પણ કેટલી મજબૂર છે
ગિરીશ પરમાર

વાહ! નિકટતા છતાં વિરહ હોવાના ભાવને કવિએ સુંદર રીતે રજૂ કર્યો છે. પાંપણો પાસ પાસે હોવા છતાં દૂર હોય છે. જલ્દી મળી શકતી નથી. જોકે રેલ્વેના પાટા કરતા પાંપણોને વધારે ભાગ્યશાળી માનવી જોઈયે. પાંપણો દિવસમાં બે-ચાર વાર(મટકું મારીયે ત્યારે) અને રાત્રે મળે છે. પાટા બિચારા જીવનભર સાથે ચાલે છે પણ મળી શકતાં નથી.

સંયુક્ત પરિવારમાંના નવદંપતિની સ્થિતિ પાંપણો જેવી જ હોય છે. ભર્યાભાદર્યા ઘરમાં નવદંપતિ પરિવારજનોની નજર બચાવી એકબીજા સામે જોઈ શકે, હસી શકે: મળી ના શકે. આવી પરિસ્થિતી માટે હિન્દીમાં કવયિત્રી સિયા સચદેવે લખેલો શેર ટાંકું છું
"દેખા હૈ હમ ને બજ્મ મેં છુપ છુપ કે આપ કો,
યે દેખતે હુએ કિ કોઈ દેખતા ન હો"
હા,અવસર મળ્યે સ્પર્શસુખ (મટકું!) મેળવી શકે. મિલન મુલાકાત માટે પાંપણોની જેમ રાત્રિની રાહ જોવી પડે.

બજ્મ=મહેફિલ
'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં તા.૨૫-૦૭-૧૦ ના દિવસે છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી